મોબાઈલની દુનિયાનાં નવા એટિકવેટ્સ

કોઈ તમને પોતાના ફોનમાં એક ફોટો બતાવે તો તે જોઈ લેવો. તેને લેફ્ટ કે રાઈટ સ્ક્રોલ કરીને બીજા ફોટા જોવા નહિ. આપણને ખબર નથી કે બીજું કોઈના ફોનમાં શું હોઈ શકે. ઘણીવાર લોકોની પ્રાઇવેટ મોમેન્ટ ફોનની ગેલેરીમાં હોઈ શકે અને તેઓ તેને તમારી સાથે શેર કરવા ન ઇચ્છતા હોય. ક્યારેક કોઈ એવી ઇમેજ કે વિડિઓ હોઈ શકે કે જે જોવા તમારા માટે યોગ્ય ન ગણાય. એવું કરવાથી ક્યારેક તમે અને સામેવાળી વ્યક્તિ બંને શરમજનક પરિસ્થિતિનો શિકાર બની શકો છે. ફોન આપણા રોજબરોજની જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. તેનો ઉપયોગ ઘણીવાર કોઈને મેસેજ વંચાવવા માટે, ફોટો બતાવવા માટે કે કોઈ માહિતી આપવા માટે કરવામાં આવતો હોય છે. ફોનની સ્ક્રીન ઘણીવાર કાગળ અને પેનનું કામ કરે છે. કેટલીય વખત ફોન દ્વારા આપણે એકબીજાને કોઈ માહિતી કે મનોરંજનની આપ લે કરીએ છીએ. તેના માટે વ્યક્તિ પોતાના ફોન પર કૈંક બતાવે કે કોઈને પોતાનો ફોન કોઈ કારણસર વાપરવા આપે તેવું બનતું હોય છે.

ફોન ઉપયોગમાં લેવાના અને કોઈના ફોનને આપણે હેન્ડલ કરવો પડે ત્યારે તેને સાંભળવાના નવા નિયમો – એટીકવેટ આપણે વિકસાવવા પડશે. કોઈને ખરાબ ન લાગે અને કોઈને શરમજનક સ્થિતિમાં ન મુકાવું પડે તે રીતે વર્તન કરવું આવશ્યક છે. ફોન પહેલા આપણા જીવનમાં એટલું મહત્ત્વનું ઉપકરણ નહોતું. આજે આપણે એક કલાક પણ ફોનને આપણાથી અલગ કરી શકતા નથી. કોઈ વ્યવહાર ફોન વિના થતો નથી. દરેક જગ્યારે ફોનનો ઉપયોગ થાય છે. ફોન વિના સંપર્ક કે સંવાદ શક્ય રહ્યો નથી. એટલા માટે ફોન સંબંધે નવા શિષ્ટાચાર શીખવા આવશ્યક છે. આ વાત ન માત્ર ફોન પરંતુ આઇપેડ કે લેપટોપ માટે પણ લાગુ પડી શકાય છે.

ઘણીવાર આપણે જાહેરમાં બેઠા હોઈએ અને આપણી આસપાસ બેઠેલી વ્યક્તિ ફોન, આઇપેડ કે લેપટોપનો ઉપયોગ કરતી હોય ત્યારે તેની સ્ક્રીન પર ડોકિયું કરવું અને તેમની પ્રાઇવેટ માહિતીમાં નાક ઘુસાડવુ અયોગ્ય છે. કોઈ વખત તમે એરપોર્ટ કે કાફેમાં બેઠા હોય, તમારી પાસે કે આગળ વાળો વ્યક્તિ કાનમાં એરફોન લગાવીને તેની પત્ની કે પ્રેમિકા સાથે વિડિઓકોલ કરી રહ્યો હોય ત્યારે તેની સ્ત્રીને ફોનની સ્ક્રીન પર તાકવી એ પ્રત્યક્ષમાં કોઈની સ્ત્રીને ઘુરવા જેવું જ અસ્વીકાર્ય કૃત્ય ગણાવું જોઈએ. ઘણા લોકો ઊંચા થઇ થઈને પોતાની આગળ ઉભેલી વ્યક્તિના ખભા પરથી હાથમાં રહેલા ફોનની સ્ક્રીન પર નજર નાખવા જેવી ભૂલો કરતા હોય છે. આ તદ્દન બેશરમીભર્યું કૃત્ય છે અને તે કરનારને સામાજિક વર્તનના પાઠ ભણવાની જરૂર છે.

ક્યારેક ફોન વાપરનાર લોકો પણ અયોગ્ય ગણાય તેવું વર્તન આચરે છે. જેમ કે ઘણા લોકોની વચ્ચે બેસીને મોબાઈલમાં મોટેથી ગીતો સાંભળવા કે ફૂલ વોલ્યુમ પર વિડિઓ જોવો. ક્યારેક લોકો સ્પીકર ચાલુ રાખીને મોટા અવાજે વાતો પણ કરતા હોય છે. આ રીતે તેઓ બીજાને ડિસ્ટર્બ કરે છે અને એ ભૂલી જાય છે કે તેઓની પાસે પણ ફોન હોય અને તેમને પણ પોતાની કોઈ પ્રવૃત્તિ કરવા માટે શાંતિની જરૂર હોઈ શકે. જાહેરમાં આ રીતે ફોનનો ઉપયોગ કરતા એરફોનનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય વાત છે પરંતુ આપણા કેટલાય અસામાન્ય લોકો આ વાત સમજતા હોતા નથી.

આખરે અન્ય એક સામાન્ય ગણાય તેવી ભૂલ ઘણા લોકો કરે છે. તેઓ ફોટો કે વિડિઓ બનાવતી વખતે અજાણ્યા લોકોને તેમાં આવરી લે છે. કોઈનો ફોટો કે વિડિઓ તેમની સંમતિ વિના લેવો અપરાધ ગણાય. કોઈની પ્રાઇવેસીનું હનન થયું ગણાય. પોતાના હાથમાં ફોન હોઈ અને તેમાં કેમેરો હોઈ એટલા કોઈનો ફોટો કે વિડિઓ લેવાનો અધિકાર આપણને મળતો નથી. કેટલાક લોકોએ તો આવા ફોટો કે વિડિઓને સોશ્યિલ મીડિયા પર અપલોડ કરવા જેવી ગંભીર ભૂલો પણ કરેલી છે. તેના માટે તો તેમને જેલમાં પણ જવું પડી શકે છે તે વાતથી કદાચ તેઓ માહિતગાર નહિ હોઈ. જયારે ફોટો/વિડિઓ લો ત્યારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમાં અન્ય કોઈ વ્યક્તિને ફોકસ ન કરવા જોઈએ.

પ્રશ્ન: સત્ય શોધવાની સચોટ પદ્ધતિ

સત્ય શોધવાની સૌથી ઉત્તમ પદ્ધતિ શું છે? લોકોનું અલગ અલગ મંતવ્ય હોઈ શકે પરંતુ સચોટ પ્રશ્ન પૂછવા અને તેના જવાબ શોધવાની તરકીબ અનેક દર્શનશાસ્ત્રીઓએ અપનાવી છે અને વખાણી છે. ગ્રીક દર્શનશાસ્ત્રી સોક્રેટિસની પદ્ધતિમાં પણ માહિતીપ્રદ વિવાદ અને પ્રશ્ન-જવાબની તરફેણ કરવામાં આવી છે. યુધિષ્ઠિરને યક્ષે પાંચ પ્રશ્નો પૂછેલા. નચિકેતાના પ્રશ્નોના યમરાજે જવાબ આપ્યા તેના આધારે તો આપણને કઠોપનિષદ મળ્યું છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જે શિક્ષણ પદ્ધતિનો ઉલ્લેખ થયો છે તે ગુરુકુળમાં ગુરુ શિષ્ય વચ્ચે સંવાદ અને પ્રશ્ન-જવાબના આધારિત જ હતી.

સરળ અને ટૂંકા પ્રશ્નો આપણને વિચારવા માટે મજબુર કરે છે. તેનાથી આપણા મગજમાં અનેક નવા વિકલ્પો સામે આવે છે અને એક પછી એક એવી બાબતો સામે આવતી જાય છે જેના અંગે આપણે વિચાર્યું ન હોય. ઓફિસમાં પણ તમે જયારે કોઈ પ્રસ્તાવ લઈને જાઓ ત્યારે ઉપરી અધિકારી તેના અંગે સવાલ કરે, તેના વિષે ખુલાશો અને વિગત માંગે ત્યારે આપણને સમજાય છે કે એ વિગત તો આપણે વિચારી જ નહોતી. મિત્ર સાથે વાતચીત કરતી વખતે જયારે આપણે ઉત્સાહથી કોઈ પ્રસ્તાવ મૂકીએ અને મિત્ર ખુબ સહજતાથી પૂછે કે ‘એ બધું તો બરાબર છે, પણ કેવી રીતે કરીશું?’ ત્યારે મગજના તાર ઝણઝણી જાય છે કે એ તો વિચાર્યું જ નહોતું.

મોટી યોજનાઓ બનાવવી હોય અને તેને સફળ બનાવવી હોય ત્યારે આપણે પ્રાથમિક ખ્યાલ વિષે, આપણા ઉદેશ્ય વિષે એક પછી એક પ્રશ્ન કરતા જઈએ ત્યારે વિચારોના નવા દરવાજા ખુલતા જાય છે. તેનાથી આપણી યોજનાની ક્ષતિ અને શક્તિ સામે આવે છે. તે કેટલી હદે વાસ્તવિક છે અને તેનો અમલ કરવામાં કેટલી ચેલેન્જ આવી શકે તે પુછાયેલા પ્રશ્નોના જવાબ મેળવતા સમજાય છે. આવા પ્રશ્નો આપણે જાતે પૂછી શકીએ અથવા તો કોઈ બીજી વ્યક્તિ પણ પૂછી શકે.

પરંતુ આવશ્યકતા છે કે આ પ્રશ્નો સચોટ હોય, સરળ હોય અને સીધા જ મુદ્દાને સ્પર્શતા હોય. આડાઅવતા મતલબ વગરના સવાલ-જવાબ વાતને ઉલઝાવી નાખે છે. તેનાથી કોઈ ઉકેલ મળતો નથી પરંતુ સમય બરબાદ થાય છે. પ્રશ્ન પૂછવાનો ઉદેશ્ય કોઈ યોજના કે પ્રસ્તાવને પડકારવાનો નહિ પરંતુ તેની વાસ્તવિકતાની એરણ પર ચકાસણી કરવાનો હોવો જોઈએ. આખરે તો એ જ યોજના સફળ થાય છે જેના દરેક પાસાને બરાબર સમજીને અમલ કરવામાં આવ્યો હોય. અધકચરી માહિતી અને તૈયારીથી બનાવાયેલી રૂપરેખા ધરાવતી યોજનાના નિષ્ફળ જવાની શક્યતા વધારે છે અને સફળ થવાના ચાન્સ ઓછા.

પ્રશ્ન પૂછો, વધારે માહિતી મેળવો, અજ્ઞાનના આવરણને હટાવો તથા મુદ્દાના મૂળ સુધી પહોંચો ત્યારે જ મગજમાં પૂરો ખુલાસો થાય છે. તેના વિના કરવામાં આવતું દરેક કામ અંધારામાં તિર મારવા જેવું છે. એટલા માટે જયારે કોઈ આપણને સામે પ્રશ્ન કરે, આપણી વાત અંગે વધારે વિગત માંગે ત્યારે તેને આપણા વિરોધી સમજવાને બદલે આપણા માટે સોક્રેટિસ બનીને આવેલ દર્શનશાસ્ત્રી માનવા જોઈએ. તેમની મદદથી આપણે પોતે પણ એવું વિશ્લેષણ કરવા સક્ષમ બની શકીએ કે જે અન્યથા આપણા દિમાગમાં ક્યારેય આવ્યું જ ન હોય. આપણે પોતાની ઈચ્છા કે યોજનાનું જમા પાસું જોઈએ એવા ઉત્સાહી બની જતા હોઈએ છીએ કે તેના અન્ય પાસા ચકાસવાનું ચુકી જઈએ છીએ.

ખરેખર તો આપણે જીવનમાં તાર્કિક રીતે વિચારતા શીખવું હોય, સ્પષ્ટતા કેળવવી હોય તો પોતાની જાતને સચોટ, સરળ અને સંલગ્ન સવાલ પૂછતાં શીખવું હોઈએ. આ પ્રશ્નોના નિખાલસ અને યથાર્થ જવાબ શોધવાથી ઘણું સારી રીતે દિશાદર્શન થઇ શકે છે. પ્રશ્નો પૂછવાની આ કળા આપણે સૌએ શીખવા જેવી અને અમલમાં મુકવા જેવી છે.