પડ્યા પછી ફરીથી ઊભા થતા ન શીખો તો સફળતા ન મળે

કીનું રીવ્સની જ્હોન વીક – ચેપ્ટર ૪ રિલીઝ થઇ છે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. જે લોકોએ જ્હોન વીક સિરીઝની પ્રથમ ત્રણ ફિલ્મો જોઈ હશે તેમને ખબર હશે કે આ ફિલ્મમાં હીરો ખુબ માર ખાય છે. ખાસ કરીને ફિલ્મના ત્રીજા ભાગમાં. પરંતુ આખરે તે જીતે છે. કારણ? કારણ એ કે તેનામાં માર સહન કરવાની શક્તિ છે અને ફરીથી ઉઠવાની હિમ્મત છે. વાસ્તવિક જીવનમાં પણ જે લોકો તૂટવાની ક્ષણે પહોંચે તોયે ફરીથી હિંમત કરીને લડવાની તૈયારી રાખે તે જ જીતે છે. વારેવારે પ્રયત્ન કરવાનો અને હાર ન માનવાનો સોનેરી મંત્ર જ સફળતાની ખરી કુંજી છે.

જે લોકો એવું ઇચ્છતા હોય કે તેમને નિષ્ફળતા વિના જ સફળતા મળી જાય, તેઓ મોટી ભૂલ કરે છે. ક્યારેક લોકો એવી સ્ટ્રેટેજી અપનાવે છે કે જ્યાં સુધી પુરી રીતે તૈયાર ન હોઈએ ત્યાં સુધી મેદાનમાં ઝંપલાવવું જ નહિ, જેથી કરીને નિષ્ફળતા ન સહેવી પડે. પહેલાથી જ એટલી મહેનત કરી લેવી કે સફળતા નિશ્ચિત થઇ જાય. ખુબ પ્રેક્ટિસ કરવી અને ખુબ સારી રીતે તૈયાર થઈને પછી જ પરીક્ષામાં બેસવું. બહુ વ્યાયામ કરીને, ખુબ તકનીક શીખીને પછી જ અખાડામાં ઉતારવું. આવી રણનીતિ બનાવીને ચાલનારા લોકો પણ જયારે વાસ્તવિક સ્પર્ધામાં આવે છે ત્યારે તેમને નિષ્ફળતા સહેવી પડતી હોય છે. કેમ કે ખરી સ્પર્ધાનો માહોલ અલગ હોય છે ત્યાં ન માત્ર તમારું જ્ઞાન અને આવડત ચકાસાય છે પરંતુ તમારી માનસિક શક્તિ અને શિથિલતાની પણ ટેસ્ટ લેવાય છે.

ડેવિડ અને ગોલિઆથની લડાઈમાં ડેવિડ મહાકાય ગોલિઆથની હરાવી દે છે. કારણ કે તેનામાં પછડાટ ખાઈને પણ ઉભા થવાની હિમ્મત છે. તે હાર માનવા તૈયાર નથી. તે પુરા ધ્યાનથી અને સાવચેતીથી મેદાનમાં લડે છે. એકેય ક્ષણ માટે બેદરકારી તેનામાં દેખાતી નથી. પરંતુ જે લોકો વિજયને સરળતાથી લે છે, ઓવર કોન્ફિડન્સમાં રહે છે અને ગફલત કરી જાય છે તેઓને જીતેલી લડાઈ પણ હારવી પડે છે. ઘણીવાર ચેસની રમતમાં પણ આવું થતું હોય છે. જીતેલી બાજી હરનારા લોકો આપણે જોઈએ છીએ. ક્રિકેટ કે બીજી રમતોમાં પણ આવું બન્યું છે. તેના માટે કેટલાય કારણો જવાબદાર હોઈ શકે પરંતુ સૌથી મોટું કારણ છે આખરી ક્ષણ સુધી જીતની આશા છોડ્યા વિના ટકી રહેવાની હિમ્મત.

મોટા ભાગની લડાઈ માણસના મગજમાં જ ખેલાય છે. જો મનમાં જ જીતવાની આશા ન હોય તો વ્યક્તિ મેદાનમાં પણ જીતી શકતો નથી. એક ગામમાં યુવાને અનાજ કરિયાણાનો ધંધો શરુ કર્યો. પરંતુ શરૂઆત કરતા પહેલા જ તેના મનમાં એક ડર હતો કે અહીં દુકાન ચાલશે કે કેમ. ધંધાને જામવામાં તો સમય લાગે છે અને ત્યાં સુધી ધીરજ રાખવી પડે છે. પરંતુ આ યુવાનનો માનસિક ડર ધીમે ધીમે તેના પર હાવી થવા લાગ્યો અને બિઝનેસ સેટ થાય તે પહેલા જ તેણે ધંધો સમેટી લીધો. વ્યક્તિ મનનાં મેદાનમાં જ હારી જાય તો પછી જીવનમાં મેદાનમાં તેના જીતવાની સંભાવના નહિવત જ હોય છે.

માનસિક શક્તિ કેળવવી, આશાવાદી બનવું અને બધી તકલીફો સહન કરીને ધાર્યું પરિણામ મળે ત્યાં સુધી લાગી રહેવું સફળ થવા માટે આવશ્યક પગલાં છે. જે લોકો આ તબક્કાઓમાંથી પસાર ન થઇ શકે તેઓ સફળતા સુધી ન પહોંચી શકે. એવું શા માટે બને છે કે જે વ્યક્તિ એક ક્ષેત્રમાં સફળ હોય તે દરેક જગ્યાએ સફળ થાય છે? કેમ કે તેનામાં આ બધા ગુણો હોય છે જે સફળતા માટે આવશ્યક શરતો છે. તે ધીમે ધીમે, એક એક ડગલું ભરીને, સામે આવતી મુશ્કેલીઓનો શારીરિક અને માનસિક રીતે સામનો કરીને, જરૂર પડે તો નિષ્ફળતાઓને પચાવીને પણ પોતાના લક્ષ્ય માટે સતત લાગ્યો રહે છે. જો સાતત્ય તૂટે તો સફળતા છૂટે – એ મંત્રને સમજીને તે સાતત્ય તૂટવા દેતો નથી. જ્હોન વિકના કીનું રીવ્સની જેમ ગમે તેટલો માર ખાય તો પણ હાર માનતો નથી.

માણસનો સ્વભાવ બદલી શકાય છે

કુત્તે ફિલ્મમાં એક દ્રશ્ય છે જેમાં તબ્બુ તેના મિત્ર આશિષ વિદ્યાર્થીને એક જોક સંભળાવે છે. નદીના બે કિનારે વીંછીનું એક પ્રેમી યુગલ છે. એક કિનારે નર વીંછી અને વીજ કિનારે માદા. બંનેને મળવાની આતુરતા છે પરંતુ નદી ઓળંગીને જઈ શકાય તેમ નથી. આવી વિરહની સ્થિતિમાં નર વીંછીને એક દેડકો દેખાય છે જેને તે વિનંતી કરે છે કે તેને સામે કિનારે તેની પ્રેમિકાને મળવા લઇ જાય.

‘વીંછીનો વિશ્વાસ હું કેવી રીતે કરું? તું મને ડંખ મારીશ અને હું મરી જઈશ.’ દેડકાએ કહ્યું.

‘અરે કેવી વાત કરે છે. જો તને હું ડંખ મારીશ તો હું પોતે પણ નદીમાં ડૂબી જઈશ. એવું બિન તાર્કિક કામ હું કેવી રીતે કરી શકું?’ વીંછીએ દેડકાને સમજાવતા કહ્યું.

આ વાત દેડકાના મગજમાં બેસી ગઈ. તેને લાગ્યું કે વાત તો ખરી છે. વીંછીની વિરહાગ્નિ પર દયા ખાઈને દેડકાએ તેને પોતાની પીઠ પર બેસાડી નદી પર કરવાનું કબુલ કર્યું. દેડકો નર વીંછીને પોતાની પીઠ પર લઈને નદી પાર કરાવી રહ્યો હતો. બંને નદીની માધ્યમ પહોંચ્યા હશે કે દેડકાને ભયાનક દર્દનો અહેસાસ થયો. તેને સમજાઈ ગયું કે વીંછીએ ડંખ માર્યો છે. દેડકાએ મરતા મરતા પૂછ્યું, ‘ભાઈ આ રીતે મને ડંખ મારવાનો શું તર્ક થયો? તને શું ફાયદો થયો આમાં?’

વીંછી જવાબ આપતા કહે છે કે ‘તર્ક બાર્ક છોડ, ડંખ મારવો તો મારો સ્વભાવ છે.’

આ સ્વભાવ, કેરેક્ટરની વાત આપણા માટે ખુબ મહત્ત્વની છે. એટલા માટે નહિ કે આપણે ખરાબ લોકોની સંગતથી બચવાનો ઉપદેશ મળે છે વગેરે વગેરે. તે તો આપણને અનેક વાર્તાઓ અને દંતકથાઓથી બાળપણથી મળતો રહ્યો છે. અહીં વાત એ છે કે આપણે પોતે પણ ઘણીવાર પોતાના જ સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન નોતરતા હોઈએ છીએ. વાત અહીં દેડકાના પરિપ્રેક્ષ્ય નહિ પરંતુ વીંછીના પોઇન્ટ ઓફ વ્યુથી સમજવા જેવી છે. તેણે પોતાના સ્વભાવને વશ થઈને પોતાનો જ જીવ લઇ લીધો, નદીમાં ડૂબીને. શું આપણે પોતે પણ ક્યારેક એવું પગલું ઉઠાવીએ છીએ કે જે તદ્દન જ વિનતાર્કિક હોય, લોજીક વિનાનું હોય અને તેનાથી આપણું પોતાનું જ નુકશાન થતું હોય.

ક્યારેક ગુસ્સા વાળી વ્યક્તિ પોતાના સ્વભાવને વશ થઈને તો ક્યારેક લાલચી વ્યક્તિ પોતાના કેરેક્ટરને આધીન થઈને એવા પગલાં ઉઠાવી લે છે કે જેનાથી તે પોતાનું તુરંત કે લાંબાગાળાનું નુકશાન નોતરી દે. આવું કરતી વખતે તેને ભાન હોતું નથી કે તે શું પગલું ભરી રહી છે. તમે લાલચી વ્યક્તિની વાર્તા સાંભળી હશે જેણે સોનાના ઈંડા આપનારી મુરઘીને કાપી નાખીશું તો એક સાથે સોનુ મળી જશે તેવું વિચારીને પોતાની લાલચને વશ થઈને હંમેશને માટે સોનાના ઈંડાની આવક ગુમાવી. વાસ્તવમાં આપણે જયારે પોતાના સ્વભાવના ગુલામ થઈને કોઈ ક્રિયા કરવાનો ઈરાદો સેવીએ છીએ તે સમયે જો માત્ર દેડકાનું નુકશાન કરવાના વિચારને, બીજાને ડંખ મારવાના સ્વભાવને વશ થઈને કઈ જ કરીએ તો તેમાં આપણે પોતાને પણ ડૂબવાનું થાય. તેના કરતા આવી વૃત્તિ જાગે ત્યારે જો એક ક્ષણ થોભી જઈને અને પોતાના નિર્ણયનું શું પરિણામ આવશે તેના અંગે વિચારી લઈએ તો કદાચ આવા નુકશાનથી બચી જવાય.

સ્વભાવને બદલવો, કેરેક્ટર ચેન્જ કરવું એટલું સહેલું નથી પરંતુ તેને વશ થઈને કરવામાં આવતી ક્રિયાઓ કે આપવામાં આવતી પ્રતિક્રિયાઓને જો એક ક્ષણ માટે અટકાવી શકાય અને તેના અંગે વિચાર કરી શકાય તો શક્ય છે કે આપણે પોતાનો નિર્ણય બદલી નાખીએ. ધીમે ધીમે આપણી આવી પ્રતિક્રિયાત્મક વૃત્તિને નિયંત્રણમાં લાવી શકીએ અને તેનાથી થતા નુકશાનથી બચી શકીએ. આવી રીતે પોતાના વિચારોને ધીમે ધીમે બદલતા જઈએ તો સ્વભાવ પણ સમય જતા બદલી જાય. કોઈના જીવનમાં તો અચાનક પરિવર્તન આવી જાય – જેમ કે વળ્યાં લૂંટારાને નારદ મુનિ મળ્યા તો તે ઋષિ વાલ્મિકી બની ગયો – અને તેનો સ્વભાવ છોડીને તે સુધારી જાય. પરંતુ તેવું ન બની શકે તો આપણે ધીમે ધીમે જાતે જ પોતાના વિચારો પર નિયંત્રણ કરવાની શરૂઆત કરી શકીએ. તો હવે પછી ક્યારેય પણ પ્રતિક્રિયા આપતા પહેલા વીંછીના પરિપ્રેક્ષ્યથી પણ વિચારી જોજો. બીજાના સ્વભાવને કારણે થતા નુકસાનથી બચવાની સાથે સાથે પોતાના સ્વભાવને કારણે શક્ય હાનિથી પણ બચી જશો.