અર્થ ડેની ઉજવણી અર્થહિન તો નથી બની રહી ને?

૨૨મી એપ્રિલના રોજ વિશ્વભરમાં અર્થ ડે – પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ના અર્થ ડે નું થીમ હતું ‘ઈન્વેસ્ટ ઈન અવર પ્લેનેટ’. પર્યાવરણ સંબંધી અનેક ચળવળમાં આ સૌથી પહેલી અને સૌથી વધારે જાણીતી ચળવળ છે જેમાં ૧૯૩ દેશના ૧૦૦ કરોડથી વધારે લોકો જોડાય છે. આ પ્રથા ૨૨ એપ્રિલ ૧૯૭૦થી શરુ થઇ અને આજે પણ ચાલતી આવે છે. આજકાલ અર્થ ડે નું મહત્ત્વ એક દિવસ માટે પર્યાવરણ સંવર્ધનને લગતી પ્રવૃત્તિ કરવા જેટલું રહી ગયું છે એવું જણાય છે. કેટલાક પર્યાવરણ જાગૃતિ ધરાવતા લોકો પ્રયત્ન કરતા રહે છે પરંતુ ૫૩ વર્ષથી પુનરાવર્તિત થઇ રહેલી આ ઉજવણી હવે માત્ર લોકો માટે કોઈ મહાન વ્યક્તિની જયંતિ જેવી કેલેન્ડરની એક તારીખ બનીને તો નથી રહી ગઈ ને?

અર્થ ડે ની શરૂઆત ૨૨મી એપ્રિલ ૧૯૭૦ના રોજ અમેરિકામાં ખુબ મોટા સંર્ઘષ, સભા સાથે થયેલી અને તેમાં ૨૦ મિલિયન લોકો – હા, બે કરોડ લોકો હાજર રહેલા અને આજે પણ તે ઇતિહાસની એક દિવસમાં, એક સ્થળે થયેલી સૌથી મોટી પ્રદર્શન સભા ગણી શકાય. આ સભા યોજવાનું કાર્ય અમેરિકાના અમેરિકાના સેનેટર ગેયલોર્ડ નેલસને કરેલું. આટલી મોટી સંખ્યામાં લોકોને પર્યાવરણના મુદ્દે એકત્રિત કરવા, જાગૃતિ લાવવી અને રાજકીય રીતે પર્યાવરણના મુદ્દાને એક ચળવળ બનાવવાનું આ દૂરદ્રષ્ટિ કાર્ય કરવાનું શ્રેય પણ તેમને જ જાય છે. નેલસને ૧૯૭૦માં આ પગલું લીધું અને ત્યાર પછી ધીમે ધીમે પર્યાવરણ ન માત્ર પશ્ચિમી દેશોમાં પરંતુ હવે એશિયા અને આફ્રિકાના દેશોમાં તેમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ એક મહત્ત્વનો રાજકીય તેમજ શૈક્ષણિક મુદ્દો બન્યો છે. તેના અંગે વાદવિવાદ થાય છે, તેના અંગે સભા ભરાય છે, કાર્યક્રમો યોજાય છે, કોઈ તેની તરફેણમાં માટે ધરાવે છે, કોઈ તેની વિરુદ્ધમાં. પરંતુ આજે પર્યાવરણના મુદ્દાને અવગણવાનું સાહસ કે અજ્ઞાન કોઈ ધરાવી શકે નહિ તે વાત તો નિશ્ચિત છે. આજે ક્લાઈમેટ ચેન્જને લઈને થઇ રહેલા પરિવર્તનોની અસર ધીમે ધીમે વિશ્વના બધા જ દેશ અનુભવી રહ્યા છે તે સંદર્ભમાં આ અર્થ ડે નું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે.

આ વર્ષનું અર્થ ડે નું થીમ – ઈન્વેસ્ટ ઈન અવર પ્લેન્ટ પણ ખુબ જ પ્રેગ્મેટિક એટલે કે વ્યવહારિક છે. જયારે સૌને બિઝનેસ અને પ્રોફિટની જ ભાષા સમજમાં આવે છે ત્યારે આ રોકાણ અને નિવેશ પણ જો આપણા ગ્રહ માટે જ થાય તો ખુબ સારું. એ વાત પણ યાદ રાખવા જેવી છે કે પર્યાવરણની જાળવણી હંમેશા દાન-દક્ષિણાથી જ કરવી શક્ય નથી. યુરોપીય દેશોમાં આવી જાગૃતિ કંપનીઓ અને ગ્રાહકોમાં પણ આવી રહી છે. કંપની પણ સસ્ટેઇનેબિલિટી વાળા પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે છે અને તેના માટે વધારે કિંમત રાખી શકે છે. ગ્રાહકો પણ પોતાના તરફથી જે ઉત્પાદનમાં પર્યાવરણની કાળજી રખાઈ હોવાને કારણે થોડી વધારે કિંમત ચૂકવવા તૈયાર છે. આજકાલ તો એરોપ્લેનની ટિકિટ ખરીદવા માટે કોઈ વેબસાઈટ પર ચેક કરશો તો ત્યાં પણ દરેક એરલાઇન પોતાના વિમાન દ્વારા કેટલું પર્યાવરણનું જતન કરવાની કાળજી રાખવામાં આવી છે તે બતાવે છે. ફ્લાઇટ ટિકિટની કિંમત પાસે જ લખેલું હોય છે કે ૩૫% વધારે ગ્રીન ફ્લાઇટ. આવી જાહેરાત દર્શાવે છે કે ગ્રાહકો જાગરૂક થઇ રહ્યા છે. તેઓ ન માત્ર પૈસા અને કિંમત પરંતુ તેમની કોઈપણ પ્રવૃત્તિને કારણે થતી પર્યાવરણહાનિનું પણ ધ્યાન રાખતા થયા છે.

પરંતુ જ્યાં સુધી આવી અવેરનેસ, જાગૃતિ જનસામાન્યમાં નહિ આવે ત્યાં સુધી પર્યાવરણનું સંવર્ધન માત્ર એક સરકારી નીતિ, એકેડેમિક ડિસ્કશન અને વર્ષમાં એક-બે દિવસની ઉજવણી બનીને રહી જશે. આ વર્ષના અર્થ ડે નિમિતે આપણે સૌએ પણ પોતપોતાનાથી બનતું કઈ કરવું જોઈએ જેથી પર્યાવરણ અને પૃથ્વીના જતન, સંવર્ધનમાં આપણે ભાગીદાર બની શકીએ. શું કરી શકાય તે આપણે પોતે નક્કી કરવાનું છે. આપણી આસપાસની પરિસ્થિતિ અને આપણી લાઇફસ્ટાઇલના આધારે આ નિર્ણય લઇ શકાય કે ક્યાં એવું નાનુંમોટું પરિવર્તન કરવું છે જેથી આપણે પર્યાવરણને ઓછામાં ઓછી હાનિ પહોંચાડીએ તેમજ તેના સંવર્ધનમાં ભાગીદાર બની શકીએ. આ અર્થ ડે નિમિતે આપણે સૌએ પણ કોઈને કોઈ રીતે ‘ઈન્વેસ્ટ ઈન અવર પ્લેન્ટ’ કરવું જોઈએ.

ચાર પ્રકારનાં સ્નેહ બંધન આપણા જીવનમાં હોય છે

બાળપણથી આપણે સૌ માતાપિતા અને ભાઈબહેન સાથે સ્નેહસંબંધથી જોડાઈ જઇયે. ઘણું કરીને તેમના પર અવલંબન પણ ધરાવીએ. તેમની ગેરહાજરીમાં બાળક બેચેન બની જાય કે રડવા લાગે છે તેવું સામાન્ય રીતે બને. કોઈ કોઈ બાળક થોડું ઓછું અવલંબન ધરાવે અને સ્વતંત્ર રીતે વર્તન કરે તેવું પણ બને. જેમ જેમ મોટા થઈએ તેમ તેમ આવું વર્તન આપણે બીજા સંબંધોમાં પણ શરુ કરીએ. કેટલાક લોકો મિત્રો, પતિ/પત્ની પર ખુબ ડિપેન્ડન્ટ હોય જયારે કોઈ કોઈ તો તદ્દન અળગા. આપણે સંબંધોમાં કેવું તાદાત્મ્ય અને અવલંબન ધરાવીએ છીએ તે અભ્યાસનો ખુબ રસપ્રદ વિષય છે. આપણા આવા સંબંધ – એટેચમેન્ટનો અભ્યાસ કરીને બ્રિટિશ મનોવૈજ્ઞાનિક જ્હોન બોલબીએ એટેચમેન્ટ થીઅરી વિકસાવી જેમાં આપણા તાદાત્યમયને ચાર પ્રકારના એટેચમેન્ટમાં વર્ગીકૃત કર્યા છે.

જ્હોન બોલબી અનુસાર એટેચમેન્ટ ચાર પ્રકારના છે: સેકયુર – સુરક્ષિત એટેચમેન્ટ, ઈંસેકયુર – અસુરક્ષિત એટેચમેન્ટ, ડિસમિસિવ – બરતરફી એટેચમેન્ટ અને પ્રિઓક્યુપાઈડ – પૂર્વવ્યસ્ત એટેચમેન્ટ. આ ચારેય પ્રકારના તાદાત્મ્યનો અભ્યાસ વધારે વિસ્તૃત રીતે કરીને, સુંદર પ્રયોગો સહીત સમજાવવાનું કામ મનોવૈજ્ઞાનિક મેરી ઐનસ્વર્થે કર્યું છે. તેણીએ એક રૂમમાં કેટલાક બાળકો અને તેમના માતાપિતાને બોલાવ્યા. તેમાં કેટલાય રમકડાં અને અન્ય વસ્તુઓ હતી જેમાં બાળકોને રસ પડે. પછી તેણીએ બાળકોના માતાપિતાને થોડીવાર માટે બહાર મોકલી દીધા અને થોડીવાર પછી પાછા બોલાવ્યા. આ દરમિયાન તેણે માતાપિતાની હાજરીમાં, ગેરહાજરીમાં અને તેમના પરત આવ્યા પછી બાળકોના વર્તનમાં થતા ફેરફારો નોંધ્યા.

કેટલાક બાળકો માતાપિતાની હાજરીમાં આનંદથી આખા ઓરડામાં રમતા હતા પરંતુ જેવા તેમના માતાપિતા બહાર ગયા કે તેઓ ઉદાસ થયા, કેટલાક તો રડવા લાગ્યા. આ પૈકી થોડા બાળકો પાંચેક મિનિટ પછી ફરીથી રમતમાં પરોવાઈ ગયા અને માતાપિતાની ગેરહાજરીને વિસરી ગયા. અમુક બાળકો જ્યાં સુધી તેમના માતાપિતા પાછા ન આવ્યા ત્યાં સુધી બેચેન જ રહ્યા. પરંતુ કેટલાક બાળકો એવા હતા કે જેમને માતાપિતાના જવાનો કોઈ ફરક ન પડ્યો. તેઓ પહેલાથી જ રમકડામાં મસ્ત હતા અને માતાપિતાના આવવા જવાની ઘટનાથી જરા પણ અસરગ્રસ્ત થયા વિના તેમની રમતમાં મશગુલ રહ્યા. આ વર્તનને ચાર પ્રકારના તાદાત્મ્ય અનુસાર મેરીએ સમજાવવાની કોશિશ કરી. આપણું વર્તન પણ બાળપણમાં આ પૈકી એક પ્રકારે થતું હોય છે. જયારે આપણે મોટા થઈએ ત્યારે પણ આપણી એટેચમેન્ટ સ્ટાઇલ આ ચાર પૈકી એક હોય તેવી શક્યતા છે.

વ્યક્તિ પોતાના કોઈ સંબંધને લઈને, પછી તે માતા કે પિતા કે પતિ/પત્ની કે પછી કોઈ નજીકના મિત્ર માટે એવું તાદાત્મ્ય ધરાવતો હોય છે કે તેની હાજરીમાં સુરક્ષિત મહેસુસ કરે અને તેની ગેરહાજરીમાં અસુરક્ષિત. ઘણા લોકો અમુક સમય પછી એ સ્નેહીની ગેરહાજરી સાથે જીવતા શીખી જાય છે અને પોતાના જીવનને રાબેતા મુજબ જીવી લે છે પરંતુ થોડા લોકો એવા પણ હોય છે કે જેઓ આ ગેરહાજરી સહેવાને ક્યારેય તૈયાર થઇ શકતા નથી અને પરિણામે એ વિરહમાં ઝૂર્યા કરે છે. અમુક લોકોને તો પોતાની આસપાસ કોઈના હોવાનો ફરક જ પડતો નથી. કોઈ હોય કે ન હોય તેમનું જીવન સામાન્ય રીતે ચાલ્યા કરે છે. તેનું કારણ એ હોઈ શકે કે તેઓ હંમેશા સ્વતંત્ર રીતે જીવતા શીખ્યા છે, માતા-પિતા પ્રત્યે આધીન રહ્યા નથી. કોઈ કોઈ વ્યક્તિ એવી હોય છે કે તે અન્યની ગેરહાજરીમાં જ વધારે સક્રિય રહે છે. તેને બાળપણથી જ માતાપિતાનો ડર રહ્યો હોય છે અને તેમની હાજરીમાં કોઈ કામ કરવામાં તેઓ આત્મવિશ્વાસ અનુભવતા નથી. આ ભયની અસર મોટા થયા બાદ પણ આવે છે અને તેને કારણે અન્ય લોકોની ઉપસ્થિતિમાં તેમનો આત્મવિશ્વાસ ખીલતો નથી.

આપણે પણ જો પિતાના સ્નેહસંબંધોમાં કેવી રીતે તાદાત્મ્ય ધરાવીએ છીએ, કોઈના પર આધીન છીએ કે સ્વતંત્ર, કોઈની હાજરીથી સુરક્ષિત અનુભવીએ છીએ કે કેમ, વગેરે જેવા પ્રશ્નોનું વિશ્લેષણ કરીએ તો આપણા સંબંધો વધારે સારી રીતે સાચવી શકીએ અને તેમનું મહત્ત્વ સમજી શકીએ. તેનાથી આપણા નિર્ણય લેવાની શક્તિ પણ વધારે કાર્યક્ષમ બની શકે.