વર્ષ ૨૦૧૯ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક

આ વર્ષે ભૌતિકશાસ્ત્રનો નોબલ પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે અપાયો છે. તેમાં જેમ્સ પીબલ્સ, મિશેલ મેયર અને ડિડીઅર ક્લોઝનો સમાવેશ થાય છે. જેમ્સ પિબલ્સને ૫૦% જયારે બીજા બંને વૈજ્ઞાનિકોને ૨૫-૨૫% પ્રાઈઝ વહેંચવામાં આવશે. નોબેલ કમિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર આ વૈજ્ઞાનિકોને “બ્રહ્માંડના ઉત્ક્રાંતિ અને બ્રહ્માંડમાં પૃથ્વીના સ્થાન વિશેની આપણી સમજમાં ફાળો આપવા બદલ” નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે.

પીબલ્સએ બીગ બેંગ દ્વારા છોડવામાં આવેલા રેડિયેશનનો અભ્યાસ કર્યો. તેમના સંશોધનથી વૈજ્ઞાનિકોને બ્રહ્માંડની રચના કેવી રીતે થઈ તથા બ્લેક મેટર – શ્યામ પદાર્થ – નાં રહસ્યો વિશે વધુ જાણવા મદદ કરી છે. બિગ બેંગ મોડેલ બ્રહ્માંડની તેની ઉત્પત્તિની પહેલી ક્ષણોનું વર્ણન કરે છે. લગભગ 14 અબજ વર્ષો પહેલા બિગ બેંગ થયું ત્યારે તે ખુબ ગરમ અને ગાઢ હતું. ત્યારથી, બ્રહ્માંડ વિસ્તૃત થઈ રહ્યું છે. તેનો વિસ્તાર થતા તે મોટું અને ઠંડુ બન્યું. આ પૈકીનો માત્ર ૫% ભાગ જ આપણી જાણમાં છે. બાકીનો ૯૫% ભાગ હજુ આપણા માટે અકાળ છે, બ્લેક મેટર છે. પીબલ્સએ આ કલ્પનાને વિજ્ઞાન સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. સતત સંશોધન દ્વારા તેને વિકિરણોનો અભ્યાસ કર્યો અને એવી પદ્ધતિ શોધી કે જેનાથી આપણે બ્રહ્માંડને વધારે સારી રીતે સમજી શકીશું.  

૧૯૯૫ માં મિશેલ અને ડિડિઅરે આપણા સૌરમંડળની બહારનો પ્રથમ ગ્રહ શોધી કાઢ્યો, જેને એક્ઝોપ્લેનેટ કહે છે. તેમના સંશોધનની મદદથી ગ્રહ શોધવાની ક્રાંતિ શરૂ થઈ. ત્યારથી કરીને આજ સુધીમાં ૪,૦૦૦ થી વધુ એક્ઝોપ્લેનેટની શોધ થઈ છે. આ એક્ઝોપ્લેનેટ એવા ગ્રહો છે જે આપણા સૌરમંડળની બહાર છે. પરંતુ તે આપણી જ ગેલેક્ષી – દૂધ ગંગા – નો ભાગ છે. તેઓનું પોતાનું સૌરમંડળ છે. આપણું સૌરમંડળ દુધગંગા ગેલેક્ષીના કેન્દ્રથી ૩૦,૦૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલું છે.

નવા એક્ઝોપ્લેનેટની શોધે વૈજ્ઞાનિકોને બ્રાહ્મણની ઉત્પત્તિ, તેના કદ આકાર અને ઉમર વિશેના ખયાલોમાં પરિવર્તન કરવા, તેના અંગે પુનઃવિચારણા કરવા મજબુર કાર્ય છે. વધારે એક્ઝોપ્લેનેટ શોધાઈ રહ્યા છે અને તેના માટે નવા નવા પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે.

આ ત્રણયે વૈજ્ઞાનિકોનું યોગદાન આપણને બ્રાહ્મણ વિષે વધારે માહિતી મેળવવામાં, અત્યાર સુધી અજ્ઞાત રહેલી બીજી ઘણી બાબતો અંગે જાણકારી મેળવવાનો માર્ગ ખોલી આપે છે.

ડો. હોમીભાભા – ભારતીય ન્યુક્લિયર વિજ્ઞાનના પિતા

ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં તો કેટલાય મહાનપુરુષોની જન્મતિથિ આવી રહી છે. બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મતિથિ અને તે પણ આ વર્ષે તો ૧૫૦મી – એટલે વિશ્વભરમાં ખુબ ધામધૂમથી ઉજવાઈ રહી છે. આ જ દિવસે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદુર શાસ્ત્રીની જન્મતિથિ પણ છે. આ મહિનાના અંતમાં, ૩૦મી ઓક્ટોબરે ડો. જહાંગીર હોમીભાભાની જન્મજયંતિ આવી રહી છે. ડો. હોમીભાભાનો જન્મ ૧૯૦૯માં બોમ્બેમાં થયેલો. તેઓ ભારતના ખુબ મહાન ભૌતિક વિજ્ઞાનિક હતા અને તેમણે પરમાણુ વિજ્ઞાન અને ક્વોન્ટમ થીઅરી ક્ષેત્રે ખુબ મહત્વપૂર્ણ યોગદાન આપેલું.

તેઓએ ભારતમાં ન્યુક્લિઅર વિજ્ઞાન ક્ષેત્રે ખુબ મહત્વપૂર્ણ કામગીરી કરી. ડો ભાભા મુંબઈ નજીક ટ્રોમ્બે ખાતે આવેલા એટોમિક રિસર્ચ સેન્ટરના ડાઈરેક્ટર હતા જેનું નામ તેમના સમ્માનમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર કરવામાં આવ્યું છે. તેમને ભારતીય ન્યુક્લિયર વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે.

આ મહાન વૈજ્ઞાનિકે તેમનો અભ્યાસ બોમ્બેની એલ્ફિન્સ્ટન કોલેજ ખાતે કર્યા બાદ યુકેની કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં આગળનું શિક્ષણ લીધું. આ સમયે વિશ્વભરમાં અણુ વિજ્ઞાનની બોલબાલા હતી. તેમણે પણ આ ક્ષેત્રમાં જંપલાવ્યું. કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં તેમણે ‘ધ અબ્સોર્પશન ઓફ કોસ્મિક રેડિએશન’ નામનો શોધનિબંધ તૈયાર કરીને ૧૯૩૩માં ડોક્ટરેટની ડિગ્રી મેળવી. કેમ્બ્રિજ ખાતેના તેમના અભ્યાસ દરમિયાન ડો. હોમી ભાભાને સોલોમન્સ સ્ટુડન્ટશીપ પણ મળેલી.

૧૯૩૯માં ભારત વેકેશન કર્યા આવ્યા બાદ તેઓ ત્યાં જ રહી ગયા અને નોબેલ પારિતોષિક વિજેતા ડો. સી. વી. રામનની અધ્યક્ષતા હેઠળ ચાલતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં રીડર બન્યા. ૧૯૩૯માં બ્રિટિશ સરકારે તેમને ફેલો ઓફ રોયલ સોસાયટી બનાવ્યા અને ત્યારબાદ ૧૯૪૨માં કેમ્બ્રિજનું ખુબ વિખ્યાત એવું એડમ્સ પ્રાઈઝ પણ તેમને આપ્યું.

તેમના પ્રયત્નોથી કોસ્મિક રે રિસર્ચ યુનિટની સ્થાપના બેંગ્લોરમાં થઇ. તેઓએ ૧૯૪૫માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચની સ્થાપના માટે પણ મહત્વનો ભાગ ભજવ્યો. ભારત વસવાટ દરમિયાન તેમણે જવાહરલાલ નેહરુને ન્યુક્લિઅર કાર્યક્રમ શરુ કરવા સમજાવ્યા અને તેમના પ્રયાસથી જ એટોમિક એનેર્જી કમિશનની સ્થાપના ૧૯૪૮માં થઇ જેના તેઓ પ્રથમ ચેરમેન બન્યા.

ભારતીય પરમાણુ કાર્યક્રમ ક્ષેત્રે ખુબ મહત્વપૂર્ણ યોગદાન માટે તેમણે ભારતના ઉચ્ચતમ નાગરિક સમ્માન પૈકીનું પદ્મ ભૂષણ તેમણે ૧૯૫૪માં એનાયત થયું. તેમણે ૧૯૫૧માં અને ત્યારબાદ ૧૯૫૩-૫૬માં ભૌતિક વિજ્ઞાનના નોબેલ પારિતોષિક માટે પણ નામાંકિત કરવામાં આવેલા.

૧૯૬૬ના જાન્યુઆરી મહિનામાં ડો. ભાભા ઇન્ટરનેશનલ એટોમિક એનેર્જી એજન્સીની મિટિંગમાં જવા નીકળેલા ત્યારે વિયેના પાસે વિમાન અકસ્માતમાં તેમનું મૃત્યુ નીપજ્યું. કેટલાક પત્રકારોએ તેમના મૃત્યુને ભારતીય ન્યુક્લિઅર પ્રોગ્રામને અટકાવવાના એક ષડયંત્રનો ભાગ પણ ગણાવ્યો છે.