થોડા દિવસ પહેલા જ્હોન રેંડાલનું અવસાન થઇ ગયું. જ્હોન રેંડાલ કોઈ મોટો નેતા, અભિનેતા કે બિઝનેસ ટાઇકૂન નહોતો કે જેના વિષે સમાચારપત્રોમાં શ્રદ્ધાંજલિનાં લેખ છપાય. પરંતુ તેમ છતાંય જ્હોન રેંડાલ વિષે યુકેના કેટલાક સમાચારપત્રો અને મેગેઝીનમાં લખાયું અને બીજા માધ્યમોમાં પણ તેના મૃત્યુ વિષે ચર્ચા થઇ. કોણ હતો જ્હોન રેંડાલ અને શા માટે તેની વાતમાં લોકોને રસ પડે તે જાણવા જેવું છે.
ઓસ્ટ્રેલિયન મૂળનો આ યુવાન લંડનની શેરીમાં સિંહને ફેરવવા માટે જાણીતો બન્યો હતો. હા, તેની પાસે પાળેલો સિંહ હતો અને તે લંડનના તેના અને મિત્ર એન્થોની બુર્કના ફ્લેટમાં રહેતો. રોજ તેને લઈને રેંડાલ લંડનના કિંગ્સ રોડ પર ફેરવવા નીકળતો અને તેને પોતાની ઓપન કારમાં પણ ફેરવતો. ચેલ્સી જેવા જાણીતા અને મોંઘા વિસ્તારના લોકો રેંડાલ અને સિંહના રસ્તા પર ફરવાના દ્રશ્યથી પરિચિત બની ગયા હતા. થયું એવું કે એકવખત રેંડાલના મિત્રએ તેને વાતોવાતોમાં કહેલું કે હેરૉડ્સમાં – હેરૉડ્સ લંડનનો ખુબ હાઈક્લાસ સ્ટોર છે – વિદેશી અને વિશેષ પ્રાણીઓ મળે છે. તેણે એક કિસ્સો સંભળાવ્યો કે કોઈએ સ્ટોરના પાલતુ પ્રાણીના વિભાગમાં જઈને પૂછ્યું કે શું તમારી પાસે ઊંટ મળશે? તો જવાબમાં સેલ્સગર્લે પૂછેલું કે એક ખૂંધ વાળો કે બે? આ કિસ્સો સાંભળીને જ્હોન રેંડાલ ઉત્સુકતાવશ હેરૉડ્સ ગયેલો અને ત્યાંના પેટ્સ ડિપાર્ટમેન્ટમાં જોયું તો તેને એ સમયે સંગ્રહાલયમાં જન્મેલું સિંહનું બચોલિયું જોવા મળ્યું. તેને રેન્ડલે ૨૫૦ ગીની (આજની કિંમતના ૪,૫૦૦ પાઉન્ડ) માં ખરીદી લીધું અને તેને પોતાના ફ્લેટમાં લાવેલો જે કિંગ્સ રોડ પર એક ફર્નીચરશોપની ઉપર હતો.
રેંડાલ સિંહના બચ્ચાને કાચું માણસ ખવડાવતો અને તેનું નામ તેને ક્રિશ્ચિયન રાખેલું. તેને ફર્નીચરશોપના ઉપયોગમાં ન આવતા બેઝમેન્ટમાં રાખતો અને અવારનવાર નજીકના ચર્ચના દીવાલબંધ બગીચામાં રમવા લઇ જતો. ઘણીવખત તે ક્રિશ્ચિયનને રોડ પર ચલાવવા પણ નીકળતો અને પોતાની ખુલ્લી મોટરગાડીમાં બેસાડીને શહેરમાં ફરતો. આપણે કલ્પના કરી શકીએ કે આ દ્રશ્ય લંડન જેવા શહેરમાં જોઈને લોકોને કેવું કુતુહુલ થતું હશે. સિંહનું બચ્ચું નાનું હોય ત્યાં સુધી તો ઠીક પણ ધીમે ધીમે મોટું થવા લાગે પછી તો તેને સંભાળવું મુશ્કેલ થવા લાગે. જો કે ક્યારેય ક્રિશ્ચિયને રેંડાલ સામે ગર્જના કરી નહોતી પરંતુ તેના માટે જે વિશેષ ખોરાક આવતો તે ધીમે ધીમે ક્રિશ્ચિયનને મોંઘો પાડવા લાગેલો. આ સમયે રેંડાલને ઓફર મળેલી કે તે ક્રિશ્ચિયનને એડ્વર્ટાઇઝ માટે લાવે. આ વિકલ્પ સારો હતો. નાણાંની આવક ચાલુ થઇ ગઈ જેનાથી ક્રિશ્ચિયનના ખોરાકનો ખર્ચ પણ નીકળતો અને તેની પ્રસિદ્ધિ પણ થતી.
રેંડાલને કિંગ્સ રોડ પરનું પોતાનું ઘર પસંદ હતું પરંતુ જયારે ક્રિશ્ચિયન મોટો થવા લાગ્યો ત્યારે હવે તેને શહેરને બદલે બહાર કોઈ ગામમાં વસવાનો વિચાર આવવા લાગ્યો. આવા સમયે તેની મુલાકાત ફિલ્મ અભિનેતા બિલ ટ્રેવર્સ અને વર્જિનિયા મેક્કેનના સાથે થઇ. તેઓ બંનેએ કોર્ન ફ્રી નામની ફિલ્મમાં અભિનય કરેલો. આ ફિલ્મ સિંહના સંરક્ષણ અને સંવર્ધનના પ્રણેતા મનાતા જોય અને જ્યોર્જ એડમસનના જીવન પર આધારિત હતી. આ બંને અભિનેતાઓએ રેંડાલને સલાહ આપી કે જો તે ક્રિશ્ચિયનને કેન્યા મોકલવા તૈયાર હોય તો જ્યોર્જ એડમસન તેને જંગલમાં છૂટો મુકાવવાની વ્યવસ્થા કરાવી શકે. આ વિચાર રેંડાલને ગમ્યો. તેને લાગ્યું કે ક્રિશ્ચિયન માટે તે જ વધારે સારું રહેશે કે તે શહેરના બંધિયાર જીવન કરતા મુક્ત રહીને જીવે અને જંગલમાં વસે. બધી મુશ્કેલીઓ છતાં વ્યવસ્થા કરવામાં આવી અને ક્રિશ્ચિયનને કેન્યા મોકલવામાં આવ્યો અને ત્યાં ખુલ્લા જંગલમાં વસાવવામાં આવ્યો.
એક વર્ષ પછી રેંડાલ અને બુર્ક ક્રિશ્ચિયનને જોવાની ઈચ્છાથી કેન્યા ગયા. એ મોટા જંગલોમાં ક્રિશ્ચિયન જોવા મળશે તેની અચ્છા બહુ ઓછી હતી પરંતુ એક દિવસ સવારે ક્રિશ્ચિયન તેમના કેમ્પ પાસે આવી પહોંચ્યો. શરૂઆતમાં તે સાવચેતીથી ધીમે પગલે આગળ વધ્યો પરંતુ જયારે તેઓ એકબીજાને ઓળખી ગયા કે તરત જ ક્રિશ્ચિયન લપકીને રેંડાલને વળગી પડ્યો. આ દ્રશ્ય સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયેલું અને લોકો તેને જોઈને રડી પડતા. આ ઘટના ૧૯૭૧ની છે. ત્યારબાદ ક્રિશ્ચિયન મેરુ નેશનલ પાર્ક તરફ પ્રયાણ કરી ગયો હોવાનું સ્થાનિક ઓથોરિટીએ નોંધેલું. પછીથી બુર્ક ઓસ્ટ્રેલિયા જતો રહ્યો અને ત્યાં આર્ટ ક્યુરેટર – કલા વસ્તુપાલ – બન્યો. રેંડાલ ચેલ્સીમાં જ રહ્યો અને પ્રોપર્ટી ડેવલપરનું કામ કરવા લાગ્યો, ચેલ્સી થિયેટરનો ટ્રસ્ટી બન્યો અને સિંહના સંરક્ષણમાં સક્રિય રસ લેતો રહ્યો. રેંડાલનું ૭૬ વર્ષની વયે તાજેતરમાં અવસાન થયું છે.