૨૦મી ઓક્ટોબર એટલે કેન્યામાં રાષ્ટ્રીય પર્વ – મશૂજા ડે. સ્વાહિલી ભાષામાં શૂજા એટલે હીરો, વીર. મશૂજા બહુવચન થાય – આ રીતે મશૂજા ડે એટલે વીરોનો દિવસ. એવા વીર લોકો કે જેમણે કેન્યાની સ્વતંત્રતા માટે જીવ અને યોગદાન આપ્યું તેમને સૌને અને સ્વતંત્રતા પછી પણ જેમણે દેશને માટે વીરતાપૂર્ણ કાર્ય કર્યા તેમને સૌને બિરદાવવા ૨૦મી ઓક્ટોબરના દિવસને મશૂજા ડે તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસનો પણ એક સુંદર ઇતિહાસ છે. ૨૦મી ઓક્ટોબરને પહેલા કેન્યાટ્ટા ડે તરીકે ઉજવવામાં આવતો. જોમો કેન્યાટ્ટા આ દેશની સ્વતંત્રતા ચળવળના આગળ પડતા નેતા, પ્રથમ પ્રધાનમંત્રી અને પછીથી પ્રથમ પ્રેસિડેન્ટ હતા. ૨૦મી ઓક્ટોબર ૧૯૫૨નાં દીવસે જોમો કેન્યાટા અને બીજા પાંચ સ્વતંત્રતા ચળવળના નેતાઓને તે વખતની શાષક બ્રિટિશ સરકારે જેલમાં કેદ કર્યા હતા. આ ઘટના કેન્યાના ઇતિહાસમાં ખુબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા ૧૯૫૮થી ૨૦મી ઓક્ટોબરને જાહેર રજા તરીકે ઉજવવાનું શરુ થયું અને ૧૯૫૯માં જાહેર રજાને લોકોનો ખુબ સારો પ્રતિસાદ મળ્યો. ઇસ ૧૯૬૩માં કેન્યા સ્વતંત્ર થયા બાદ ૨૦ ઓકટોબરનો દિવસ કેન્યાટ્ટા ડે તરીકે સ્થાપિત થયો. વર્ષ ૨૦૧૦માં કેન્યાનું નવું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આ દિવસ કેન્યાટ્ટા ડેને બદલે મશૂજા ડે કહેવાયો. તે દિવસે દેશ માટે બલિદાન, યોગદાન આપનારા બધા વીરોને સમ્માન, આદર કરવામાં આવે છે. આ દિવસનું મહત્ત્વ દેશભરમાં છે અને તે દિવસે દરેક કાઉન્ટી – રાજ્ય – માં ગવર્નર પણ ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી કરે છે. રાષ્ટ્રીય ધોરણે રજા રાખવામાં આવે છે. જો આ દિવસ રવિવારે આવતો હોય તો તેના બદલે સોમવારે રજા રાખવામાં આવે છે.
આ વર્ષે પણ ૨૦મી ઓક્ટોબરે ગુરુવારે જાહેર રજા હતી અને દેશભરમાં મશૂજા ડે નિમિતે રાષ્ટ્રીય કાર્યક્રમો થયા. રાષ્ટ્રપતિ ડો. વિલિયમ રુટોએ ઉહુરુ ગાર્ડનમાં ખુબ મોટો કાર્યક્રમ યોજેલો જ્યાં સરકારી અધિકારીઓ, મંત્રીઓ, સંસદ સભ્યો ઉપરાંત દેશવિદેશના રાજદૂતો અને જાહેર જનતા હાજર હતા. આ કાર્યક્રમ દરમિયાન કેટલાય મનોરંજક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું. રાષ્ટ્રપતિએ દેશને સંબોધીને વક્તવ્ય આપ્યું. ત્યારબાદ આમંત્રિત મહેમાનો માટે સ્ટેટ હાઉસ – રાષ્ટ્રપતિના નિવાસસ્થાન – પર મેળાપનો કાર્યક્રમ ગોઠવાયો હતો. ત્યાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભોજનનું આયોજન હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ અને તેમના પત્ની (ફર્સ્ટ લેડી), ઉપ રાષ્ટ્રપતિ અને તેમના પત્ની, પ્રધાન મંત્રી અને બીજા કેટલાક ઉચ્ચ પદાધિકારીઓ સૌ આમંત્રિત મહેમાનોને મળ્યા.
કેન્યાની સ્વતંત્રતા ચળવળના એક અગ્રણી નેતા તરીકે જોમો કેન્યાટ્ટાને ૨૦મી ઓક્ટોબર ૧૯૫૨ના રોજ જેલમાં કેદ કરવામાં આવ્યા ત્યારે તેમની સાથે બીજા પાંચ નેતાઓ પણ હતા જેમાં એચિંગ ઓનેકો, બીલદાડ કાગિયા, ફ્રેડ કુબાઈ, કુનગુ કરુમ્બા અને પોલ નગેઇ શામેલ હતા. આ છ નેતાઓને માઉ માઉ ક્રાંતિકારી સંગઠનના સભ્ય હોવા માટે અને વિદ્રોહ કરાવવા માટે કાપેનગુરિયામાં કેસ ચલાવીને દોશી જાહેર કરીને ઉત્તર કેન્યામાં જેલમાં કેદ કરવામાં આવેલા એટલા માટે આ છ ક્રાંતિકારીઓને કેન્યાના ઇતિહાસમાં ‘કાપેનગુરિયા સિક્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેન્યાની સ્વતંત્રતા ચળવળમાં એક બીજું મહત્ત્વનું નામ છે – હેરી થુકુ. તેઓ ગાંધીજીના વિચારોથી ખુબ પ્રભાવિત થયા હતા અને તેમણે ગાંધી માર્ગે ક્રાંતિને વાળી હતી. ભારતીયમૂળના કેટલાક લોકોએ પણ કેન્યાની સ્વતંત્રતા ચળવળમાં સારો એવો ભાગ ભજવેલો જેના અંગે અલગથી, વિસ્તારથી, ચર્ચા કરીશુ.
કેન્યાનાં સ્વતંત્રતા ચળવળનાં વીરોની યાદમાં દેશભરમાં મશૂજા દિવસની ઉજવણી દરવર્ષે થતી રહે છે અને તેનાથી સૌને દેશ માટે બલિદાન અને યોગદાન આપવાની પ્રેરણા મળે છે. રાષ્ટ્રપતિએ પણ પોતાના સંદેશમાં આ વાત પર ભાર મુકેલો. ઉપરાંત આ રાષ્ટ્રીય પર્વ હોવાથી અને રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ સત્તાગ્રહણ કરી હોવાથી પોતાના સંદેશમાં નવી નીતિઓ અંગે પણ ઘણી વિસ્તારથી છણાવટ કરેલી.