યુકેના ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને તેને કારણે અહીંની સરકારે પ્લાન-બી અમલમાં લાવવો પડ્યો છે. ગયા વર્ષે તો શિયાળામાં ડેલ્ટા વેરિએન્ટના કેસ વધવાથી ડિસેમ્બરની શરૂઆતમાં જ યુકીએ લોકડાઉન લગાવી દીધેલું પરંતુ આ વર્ષે ફરીથી લોકડાઉન ન લગાવવું પડે તેવી યોજનાઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી બોરિસ જોહ્ન્સને જાહેરાત કરી કે પ્લાન-બી અનુસાર હવેથી લોકોને રેસ્ટોરન્ટ સિવાયના કોઈ પણ બંધ સ્થળોએ માસ્ક પહેરવા ફરજીયાત છે. લોકોને ઘરેથી કામ કરવાની છૂટછાટ આપવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે અને જેટલું શક્ય હોય તેટલું લોકો ઓફિસ જવાને બદલે ઘરેથી કામ કરે તેવી રજૂઆત છે. ઓમિક્રોન હજુ સુધી વધારે ઘાતક તો સાબિત નથી થયો પરંતુ તેના ફેલાવાનો દર ખુબ ઝડપી છે અને નવા અંદાજ અનુસાર તેના કેસ ૨-૩ દિવસમાં બમણા થાય તેવી સંભાવના છે.
લંડનમાં એક સુંદર કોન્સર્ટ હોલ છે જેનું નામ છે રોયલ અલબર્ટ હોલ. તેમાં ૫૨૦૦થી વધારે લોકોના બેસવાની ક્ષમતા છે અને તે વિશ્વના સૌથી સુંદર અને નામાંકિત કોન્સર્ટ વેન્યુ પૈકીનો એક મનાય છે. તેનું બાંધકામ ઈ.સ. ૧૮૬૭માં શરુ થયેલું અને તેનું ઉદ્ઘાટન ૨૯મી માર્ચ ૧૮૭૧માં મહારાણી વિક્ટોરિયાના હાથે કરવામાં આવેલું. અત્યારે તેની ૧૫૦મી વર્ષગાંઠ મનાવાઇ રહી છે જેથી બહુ નામાંકિત લોકોના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વિશ્વના દરેક ખ્યાતનામ કલાકાર માટે ત્યાં પરફોર્મ કરવું એક મોટું સપનું હોય છે અને આ ૧૫૦ વર્ષ દરમિયાન મોટા મોટા બધા જ કલાકારોએ ત્યાં પોતાના કાર્યક્રમો કર્યા છે.
આ હોલનો ઇતિહાસ એવો છે કે ઈ.સ. ૧૮૫૧માં પ્રિન્સ અલબર્ટે હાઇડ પાર્કમાં એક ખુબ મોટું પ્રદર્શન યોજેલું અને તેની સફળતાથી પ્રેરિત થઈને તેમને એક સ્થાયી વ્યવસ્થા તૈયાર કરવાનો પ્રસ્તાવ મુક્યો જે જાહેર જનતા માટે ઉપયોગી થઇ શકે. આ પ્રસ્તાવને આલ્બર્ટોપોલીસ તરીકે ઓળખાવાય છે અને તેના આધારે આ હોલના વિચારનું બીજ રોપાયું. ઉદ્ઘાટન વખતે પ્રિન્સ ઓફ વેલ્સ એડવર્ડે વેલકમ સ્પીચ આપી હતી. ૧૧મી ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ભારતના પ્રખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરના નિધન સમયે રોયલ અલબર્ટ હોલે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પંડિત રવિશંકરે રોયલ અલબર્ટ હોલમાં ૧૭ વખત પરફોર્મન્સ આપેલું અને લોકોએ તેમને ખુબ પસંદ કરેલા.
યુકેમાં અત્યારે સૌ ક્રિસ્મસની તૈયારીમાં લાગી ગયા છે અને ખાસ કરીને ડિસ્કાઉન્ટની સીઝન આવી હોવાથી લોકો શોપિંગ ખુબ કરી રહ્યા છે. ભારતથી આવનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધવા લાગેલી પરંતુ હવે ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોનના આંકડાને લઈને ભારતે યુકેથી આવનારા લોકો માટે ૭ દિવસનું ફરજીયાત ક્વોરેન્ટાઇન લગાવેલું હોવાથી પ્રવાસીઓની સંખ્યા ફરીથી ઘટી ગઈ છે. અહીં ભણવા આવતા વિદ્યાર્થીઓ કે કામ કરવા આવેલા લોકો પરત પોતાના ઘેર વેકેશન કરવા ભારત જાય તે ઠીક પરંતુ તેમના સિવાય ઓછા મુસાફરો ભારતમાં આ વખતે પ્રવાસે જશે તે નક્કી છે.
વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદમાં જાન્યુઆરીમાં યોજાવાનું છે તેના માટે એક ડીલિગેશન યુકે આવેલું અને તેમની કેટલીય મીટિંગ્સ થયેલી જેમાં લોકોનો ખુબ સારો પ્રતિભાવ મળેલો. કેટલાય બિઝનેસ ડીલિગેશન યુકેથી વાઇબ્રન્ટ ગુજરાતમાં આવવા તૈયાર છે પરંતુ જો વાઇરસને કારણે ક્વોરેન્ટાઇન ચાલુ રહે તો ઘણા લોકો વર્ચ્યુઅલી જોઈન કરે એવી સંભાવના વધારે છે.