જીવનમાં છ પ્રકારના એશ્વર્ય હોય છે તેવું રામાયણમાં કહેવાયું છે. આ છ એશ્વર્યમાં ધન, યશ, રૂપ, વૈર્ય, વૈરાગ્ય અને આદર્શનો સમાવેશ થાય છે.

વ્યક્તિ જીવનમાં ધન કમાવાની ઈચ્છા રાખે છે અને તેના માટે મહેનત કરે છે. જે ધનવાન હોય છે તે સમાજમાં ઐશ્વર્ય ધરાવે છે. પરંતુ આવું ધન સંપત્તિનું એશ્વર્ય સૌને પ્રાપ્ત થતું નથી. તેવી જ રીતે રૂપ અને સુંદરતા પણ દરેક વ્યક્તિને મળતા નથી. જે વ્યક્તિને તે પ્રાપ્ત હોય છે તે ઐશ્વર્યવાન ગણાય છે. તેનાથી સમાજમાં વ્યક્તિનું સ્થાન અને મોભો વધે છે. આ વાત આપણે રોજબરોજના જીવનમાં પણ જોઈએ છીએ. વીર્ય એટલે કે વીરતા પણ સૌનામાં હોય તેવું બનતું નથી. ભીરુ લોકોને જીવનમાં ઘણી વખત નામોશી સહેવી પડતી હોય છે અને તેનાથી લોકોમાં તેમની બદનામી પણ થાય છે. તેમને પોતાને પણ ઘણી વખત પોતાની ભીરુતા અને ડરપોકપણા અંગે નાનપ થાય છે. વ્યક્તિમાં વીરતાનો ગુણ હોવો તેનું ઐશ્વર્ય ગણાય. કર્ણ અને અર્જુન જેવા લોકોને આજે આપણે માત્ર તેમની વીરતાને કારણે જ યાદ કરીએ છીએ. તેમની ખ્યાતિ આજે સદીઓ પછી પણ શાશ્વત છે. આપણે ગમે તેટલું સારું કામ કરીએ પરંતુ યશ બધાના નસીબમાં હોતો નથી. જેના હાથમાં યશ અને કીર્તિ હોય તે લોકો થોડું કરે તો પણ તેમને ઘણું સન્માન પ્રાપ્ત થાય છે. તેનું કારણ છે કે તેમનામાં યશસ્વી બનવાનુ ઐશ્વર્ય છે.

આ ચારેય ઐશ્વર્ય કોઈના જીવનમાં હોવા છતાં પણ જો તે વ્યક્તિમાં વૈરાગ્યપણું અને આદર્શના ઐશ્વર્ય ન હોય તો બાકી બધું એટલું અસરકારક બની શકે નહીં. જીવનમાં કેટલાય એવા પ્રસંગો આવે છે જ્યારે વ્યક્તિને સંપૂર્ણ કે આંશિક રીતે વૈરાગ્ય સ્વીકારવું પડે છે. વૈરાગ્યનો અર્થ સરળ ભાષામાં એવો કરી શકાય કે પોતાની પાસે રહેલું છોડવાની ભાવના. તે માટે આસક્તિ છોડવી જરૂરી છે. વ્યક્તિ કોઈ આદર્શો અને મૂલ્યોના આધારે જીવન ન જીવે તો બીજા કોઈ પણ એશ્વર્યનું પતન થતાં વાર લાગતી નથી. વીર તો રાવણ પણ હતો અને કંસ પણ હતો પરંતુ તેમનામાં કમી હતી આદર્શના ઐશ્વર્યની. તેને કારણે બીજા બધા જ ઐશ્વર્યનું પતન થયું અને આખરે તેમની શું હાલત થઈ તે આપણે સૌ જાણીએ છીએ.

તમારા જીવનમાં તમે કયા પ્રકારના ઐશ્વર્યાની ખેવના કરો છો અને તેના માટે શું મહેનત કરો છો તે મહત્વનું છે. જો વ્યક્તિ ધન યશ આદર્શ કે વૈરાગ્ય માટે પ્રયત્નશીલ ન હોય તો આ પૈકી કશું જ પ્રાપ્ત થતું નથી. કોઈ એશ્વર્ય વ્યક્તિને જન્મથી પ્રાપ્ત હોય છે જેમ કે સૌંદર્ય અને ધન. પરંતુ તેમને ટકાવી રાખવા પણ આવશ્યક છે. આપણી સામે એવા કેટલાય દાખલા હોય છે કે ચાંદીની ચમચી મોમાં લઈને પેદા થયા હોય તેવા લોકો પણ પછીથી ૫૦૦ રૂપિયા માટે લોકો સામે હાથ ફેલાવતા હોય છે. વીરતા તો વ્યક્તિના સ્વભાવમાં હોઈ શકે પરંતુ તે વીરતાનો કેવી રીતે સદ્ઉપયોગ થાય તેના પર વ્યક્તિનો યશ આધાર રાખે છે. જે વ્યક્તિ માત્ર લોભ, લાલચ અને મોહમાં રહે તે મોટું દિલ રાખીને ક્યારેય પોતાની પાસે રહેલું કઇ જ જતું કરી શકતો નથી. પરિણામે વૈરાગ્યનું એશ્વર્ય તેનામાં આવી શકતું નથી. સાતમી સદીમાં થઈ ગયેલા રાજા હર્ષવર્ધન વિશે એવું કહેવાય છે કે તેઓ દર વર્ષે એક મહાયજ્ઞ કરતા અને રાજયનો પૂરો ખજાનો દાન કરી દેતા. પરંતુ ફરીથી બીજા વર્ષ સુધીમાં તે ખજાનો છલોછલ ભરાઈ જતો. તેમની આ કીર્તિ તો દેશ વિદેશમાં ફેલાયેલી હતી અને તે સમયે ભારતની સમૃદ્ધિ કેટલી હતી તે અંગે રાજા હર્ષવર્ધનના સમયમાં આવેલ એક ચીની મુસાફર હ્યુંએન ત્સંગે લખ્યું છે.

આપણા સમાજમાં પણ કેટલાય ધનવાન લોકો એવા હોય છે કે જેમની પાસે અઢળક સંપત્તિ હોવા છતાં તેઓ કોઈ દાન કરી શકતા નથી કે કોઈને મદદરૂપ બની શકતા નથી. પરિણામે તેમનું ધનનું ઐશ્વર્ય યશ કે વૈરાગ્યના ઐશ્વર્યમાં પરિવર્તિત થતું નથી. વળી જે લોકો પોતાના પૈસાને કારણે ઉંધા રસ્તે ચડી જાય છે તેઓ આદર્શના ઐશ્વર્યને પણ ગુમાવે છે. જે વ્યક્તિ જીવનમાં છ ઐશ્વર્ય પ્રાપ્ત કરવા ઈચ્છે તેમના માટે એ મહત્વનું છે કે તે આદર્શ અને મૂલ્યો ક્યારેય ત્યજે નહીં. કોઈ વસ્તુ માટે આસક્તિ ન કેળવે. જ્યારે કંઈક પામવાની લાલચ છૂટી જાય અને કંઈક ગુમાવવાનો ભય જતો રહે ત્યારે જ વ્યક્તિ વૈરાગ્ય કેળવી શકે છે અને આદર્શ પંથ પર ચાલી શકે છે તથા વીરતાપૂર્વક જીવન જીવી શકે છે. તેનાથી અવશ્ય j સમાજમાં તેનો યશ વધે છે. ધન અને રૂપ આવે ન આવે પરંતુ આ ચારેય ઐશ્વર્યને કારણે તે સંપૂર્ણ અને સંતુષ્ટ જીવન જીવી શકે છે તેની ખાતરી આપી શકાય.